Luke 6

1એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના ઊંબીઓ તોડીને હાથમાં મસળીને ખાતા હતા. 2આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’

3ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ડેવિડ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે 4તેણે ઈશ્વરના ભક્તિસ્થાનમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?’ 5તેમણે તેઓને કહ્યું કે, ‘માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’

6બીજા એક વિશ્રામવારે ઈસુ ભક્તિસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે. 8પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‘ઊઠીને વચમાં ઊભો રહે.’ તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.

9ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારુ કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો: એ બન્નેમાંથી કયું ઉચિત છે?’ 10ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’ તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો. 11પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘ઈસુ વિષે આપણે શું કરીએ?’

12તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી. 13સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને ‘પ્રેરિતો’ એવું નામ આપ્યું;

14સિમોન જેનું નામ ઈસુએ પિતર પાડ્યું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને, 15માથ્થી, થોમા, અલ્ફીના [દીકરા] યાકૂબ અને સિમોન, જેને ઝેલોતસ કહેતા હતા તેને, 16યાકૂબના [ભાઈ] યહૂદાને, અને યહૂદા ઇશ્કરિઓત જે વિશ્વાસઘાતી હતો તેને.

17પછી ઈસુ શિષ્યોની સાથે [પહાડ પરથી] ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાના લોકોનો મોટો સમુદાય [ત્યાં હતો] કે, જેઓ તેમનાં વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા આવ્યા હતા; 18જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા. 19સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનામાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.

20ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ ગરીબો, તમને ધન્ય છે: કેમકે ઈશ્વરનું રાજ્ય તમારું છે. 21અત્યારે ભૂખ વેઠનારાઓ, તમને ધન્ય છે: કેમકે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે હસશો.

22જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમને ધન્ય છે. 23તે દિવસે તમે આનંદ કરો, ને [ખુશીથી] કૂદો :કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.

24પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો! 25ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમકે તમે ભૂખ્યા થશો. ઓ હાલના હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.

26જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા.

27પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, 28જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો.

29જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ. 30જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઇ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.

31લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો. 32તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ પોતાની ઊપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે. 33જે તમારું સારું કરે છે તેઓનું સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ એમ જ કરે છે. 34જેની પાસેથી તમે પાછું મેળવાની ઇચ્છા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમકે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.

35પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને પણ ઘણું ફળ મળશે, અને તમે પરાત્પરના દીકરા થશો; કેમકે અનુપકારીઓ તથા પાપીઓ પર તે માયાળુ છે. 36માટે જેમ તમારા ઈશ્વર પિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.

37કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. ક્ષમા કરો અને તમને પણ ક્ષમા કરશે.

38આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમકે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.

39ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, ‘શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ? 40શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે.

41તું તારા ભાઈની આંખમાંનું તણખલું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો કચરો કેમ જોતો નથી? 42તારી પોતાની આંખમાંનો કચરો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે? ઓ દંભી, તું પહેલાં પોતાની આંખમાંથી કચરો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને બરાબર દેખાશે.

43કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી. 44દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમકે કાંટાના ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી.

45સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.

46તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી ? 47જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોના જેવા છે, એ હું તમને કહીશ. 48તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદી ને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમકે તે મજબૂત બાંધેલું હતું.

પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘરને તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’

49

Copyright information for GujULB